- આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કોઈએ પૂછ્યું હતું, ‘તમે અમદાવાદ-ગાંધીનગરની વ્યસ્ત ટૂંકી મુલાકાત વખતે પણ તમારી માતાને મળવા માટેનો સમય કાઢો છો તે ખુબ સારી વાત છે.’ આપણા પી.એમનો ટૂંકો જવાબ પણ સાંભળવા જેવો હતો. ‘તેનો છાંયડો અનુભવવા જાઉં છું.’ સાચી વાત છે જો મધરના સ્પેલિંગમાંથી જો 'M' કાઢી નાખીએ તો આખી દુનિયા આપણા માટે અધર થઈ જાય.
- મહાભારતના યુધ્ધનો એક પ્રસંગ છે. અશ્વત્થામાએ દ્રૌપદીના પાંચ બાળકોને મારી નાખ્યા. બદલો લેવા માટે અર્જુન શત્રુ અશ્વત્થામાને પકડીને બાંધીને ઘરે દ્રૌપદી સમક્ષ લઈ આવ્યા. બાંધેલા અશ્વત્થામાને જોઈ દ્રૌપદી પોતાનો પુત્ર વિયોગ ભૂલી ગયા. દ્રૌપદીએ અર્જુનને કહ્યું, ‘આજે હું મારા પુત્ર વિયોગમાં રડું છું. તમે અશ્વત્થામાને મારશો તો તેની માતા તેના પુત્રના વિયોગમાં રડશે. તેને છોડી દો.’ મા ની મમતા એક ‘મા’ જ સમજી શકે.
- ગીતકાર આનંદબક્ષીએ ‘માં’ માટેના સુંદર ગીતો રચ્યા છે. તેઓના મતે ગીતોમાં જ્યારે ‘માં’ શબ્દ આવે ત્યારે ગીતની સુંદરતા જ અલગ થઈ આવે છે. ભગવાનને ભજશો તો ‘માં’ મળશે કે નહીં તે નક્કી નથી પણ ‘માં’ ને ભજશો તો ભગવાન મળશે તે નક્કી જ છે. ગમે તેટલા મોટા ભૌતિક સાધનો શોધનાર મહાન વૈજ્ઞાનિકોએ પણ ‘ભાવના’ મેળવવા તો પોતાની ‘માં’ પાસે જ આવવું પડે છે ને.
- ૧૯૫૩માં રજુ થયેલ રાજકપૂરના પિક્ચર ‘આહ’માં પ્રેમનાથ રાજકપૂરને એક વેશ્યા પાસે લઈ જાય છે. રાજકપૂરને ખબર પડે છે કે તે સ્ત્રી તો ધાવણ આપતી ધાત્રી માતા છે. રાજકપૂર પ્રેમનાથ કહે છે, ‘વો તો માં હૈ.’ ભલભલા ગુનેગારો પણ જ્યારે એક ‘માં’ સામે ઉભા રહે ત્યારે શાંત થઇ જાય છે.
- માતા એટલે તપ અને ત્યાગની મૂર્તિ. માં પોતે ઉદાસ થઇ શકે છે પણ પોતાના સંતાનોને ક્યારેય નિરાશ કરતી નથી. દુનિયાના દરેક સંબંધમાં કઈક ને કઈક ચુકવવું પડતું હોય છે ફક્ત માતા જ પોતાના બાળકોને બધુ જ ‘બિનશરતી’ આપે છે. જ્યારે એક રોટલીના ચાર ટુકડા હોય અને પાંચ વ્યક્તિઓ હોય તો ‘મને ભૂખ નથી’ તેવું બોલનાર વ્યક્તિ ‘માં” જ હોય છે.
- ભલે માતા પોતાના બાળક માટે ઉચ્ચ પ્રકારના શબ્દો ન વાપરી શકે પણ ઉચ્ચ પ્રકારની ભાવના જરૂર રાખે છે. થોમસ આલ્વા એડીસનને સ્કુલમાંથી પણ કાઢી મુકવામાં આવ્યા હતા. તેમણે તેમની માતા માટે કહ્યું, ‘હું મારી જિંદગીમાં ચમત્કારિક પરિણામ લાવી શક્યો કારણકે મારી પ્રેમાળ માતાએ કદી મારામાંથી વિશ્વાસ ગુમાવ્યો નહીં.’ ભગવાને મા નું સ્થાન એટલું બધું ઊંચું મૂકી દીધું છે કે ‘મા’ ની મમ્મી ને ‘નાની માં’ કહીએ છીએ ‘મોટી માં’ નહીં.
- માતાએ હંમેશા બાળકોમાં પોતાનું સર્વસ્વ રેડવાનું જ હોય છે. પહેલા રક્ત, પછી દૂધ, પછી સંસ્કાર અને છેલ્લે બાળકનાં સુખ માટે આંસુ. કવિ દલપતરામે કહ્યું હતું, ‘મને દુઃખી દેખી દુખી કોણ થાતું? મહા હેતવાળી દયાળી કોણ થાતું? (ડો.આશિષ ચોક્સી)
પ્રતિશાદ આપો